દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર હવે ઘણી નબળી પડી ગઈ છે. વાઇરસને કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે સંક્રમણના ૨૬ હજાર કેસ નોંધાયા હતા અને તેની સાથે જ ૨૫૨ લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, કોરોના હવે મહામારી રહી નથી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ નહિવત્ છે, જોકે તેમણે એલર્ટ કર્યા છે કે જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને વેક્સિન ના લાગી જાય ત્યાં સુધી સતર્ક રહેવાની જરૂર છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે લોકોએ તહેવારોમાં ભીડથી દૂર રહેવાની જરૂર છે. ભારતમાં હવે સંક્રમિતોના આંક ૨૫ હજારથી ૪૦ હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધાન રહે તો કોરોના સંક્રમણના કેસ ધીમે ધીમે ઘટી શકે છે. તેમણે કહ્યું હતું કે દેશમાં કોરોના સંપૂર્ણ રીતે હવે ક્યારેય સમાપ્ત નહીં થાય, પરંતુ ભારતમાં જે પ્રમાણે ઝડપથી વેક્સિનેશન થઈ રહ્યું છે એ જોતાં લાગે છે કે હવે એ મોટે પાયે ફેલાશે નહીં.
એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના વાઇરસ ખૂબ ટૂંક સમયમાં સામાન્ય ફ્લૂ એટલે કે સામાન્ય ખાંસી-શરદી અને તાવ જેવો થઈ જશે, કારણ કે લોકોમાં હવે આ વાઇરસ સામેની ઈમ્યુનિટી આવી ગઈ છે. જોકે વધારે બીમાર અને ઓછી ઈમ્યુનિટીવાળા લોકો માટે હજી પણ આ વાઇરસ જીવલેણ સાબિત થઈ શકે છે.
more read – https://freedomjournalism.com/wp/